20140728

પોરબંદરમાં વિમાની સેવા એસ.ટી.થી પણ ભંગાર


- ૧ વીકથી ફલાઈટ કેન્સલ


વિમાનમાં જમ્પરમાંથી ઓઈલ નિકળ્યા બાદ હજુ સમારકામ ન થઈ શકતા વિમાની સેવા ખોરવાતા મુસાફરો હેરાન
પોરબંદર,તા.૨૫
પોરબંદરના એરપોર્ટ ઉપર છેલ્લા ૧૫ વર્ષથી માત્ર જેટએરવેઝની એક જ ફલાઈટ મુંબઈ સુધી જાય છે. પરંતુ એસ.ટી. બસથી પણ ભંગાર હાલત વિમાનની હોય આ વિમાનના જમ્પરમાંથી ઓઈલ નિકળ્યા બાદ તેનું સમારકામ ન થતા છેલ્લા એક અઠવાડિયાથી ફલાઈટ કેન્સલ થતા જાણે ફલાઈટ કેન્સલ વિકની ઉજવણી થઈ હોય તેવું ૧૫ વર્ષમાં પ્રથમ વખત બન્યું છે.
પોરબંદરથી મુંબઈ જવા માટે નિયમિત ૬૦ સીટવાળા એરક્રાફટની સુવિધા છે જે ગત સોમવારે મુંબઈથી દિવ થઈને પોરબંદર આવ્યા બાદ પ્લેનના આગળના ભાગે જમ્પરમાંથી ઓઈલ લીકેજ થતુ હોવાનું નજરમાં આવતા ફલાઈટને તાત્કાલીક રદ કરવામાં આવી હતી. આ બનાવ બાદ તાત્કાલીક ટેકનીકલ ટીમ પોરબંદર આવી હતી અને સોમવારથી પ્લેનમાં આવેલી ખામીને દુર કરવા માટે કામે લાગ્યા હતાં. અને બુધવારે સવારે આ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાતા ટેસ્ટ ફલાઈટની મંજુરી માંગી હતી. આ પ્લેને ઉડાન પણ ભરી હતી. પરંતુ પાયલોટ અને એન્જીનીયરને હજુ પણ ટેકનીકલ ખામી રહી ગઈ હોવાનું અડધો કલાક બાદ ફરી પોરબંદર એરપોર્ટ ઉપર જ તેને ઉતારવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ૧૨ જેટલા નિષ્ણાંત એન્જીનીયરની ટીમે આ પ્લેનમાં રહેલી ખામીને દુર કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતાં. પરંતુ તેમાં સફળતા મળી ન હતી અંતે પ્લેનને મુંબઈ લઈ જવામાં આવ્યું હતું. બાદ બે દિવસ વિતી જવા છતાં હજુ તેનું સમારકામ થઈ શકયું નથી. આજે અને શનિવારે પણ ફલાઈટ રદ કરવામાં આવી છે. આમ અઠવાડિયાથી પોરબંદરવાસીઓ વિમાન સુવિધાવિહોણા બની ગયા છે.
પોરબંદરથી મુંબઈ જવા માટે એકમાત્ર ફલાઈટ છે અને છેલ્લા ૧૫ વર્ષોથી અન્ય એરલાઈન્સની સેવા શરૃ કરવાની માંગ થઈ રહી છે પરંતુ હજુ સુધી તે શકય બની નથી જેથી જયારે પણ પોરબંદરથી આ ફલાઈટ રદ થાય ત્યારે મુસાફરોને ખોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે. વળી પોરબંદરથી ૬૦૦૦ રૃપિયા જેટલુ ભાડુ વસુલીને રીતસરની મુસાફરો સાથે લુંટ ચલાવવામાં આવે છે અને તેમાં પણ એસ.ટી.થી ભંગાર સેવા હોય તેમ એક એક અઠવાડિયા સુધી પ્લેનનું સમારકામ નહીં થતા આશ્ચર્ય સર્જાયું છે. પોરબંદરમાં એરપોર્ટ ઉપર રન વે ખુબ જ ટુંકો છે જેથી નાના વિમાનો જ આવી શકે પોરબંદરના રનવેને વધારવા માટે વર્ષોથી વાતો થાય છે. એરપોર્ટની આજુબાજુની જમીન સંપાદન કરીને રન વેને જો લાંબો કરવામાં આવે તો બોઈંગ વિમાનો ઉતરી શકે અને મોટા વિમાનોની સગવડ પ્રાપ્ત થાય તો વધુ સારી સુવિધા મળી શકે છે. પરંતુ તેના માટે કેન્દ્ર સરકારે ગંભીરતાથી યોગ્ય કરવું જરૃરી બની જાય છે.